વર્તમાન કોરોના મહામારીમાં સમગ્ર દેશમાં ઑક્સીજનની ખુબજ જરૂરિયાત વરતાઈ રહી છે ત્યારે દર્દીઓ ની વધુમાં વધુ સારવાર મળી રહે તે હેતુથી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર દ્વારા સંચાલિત નુતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર અને નૂતન જનરલ હોસ્પિટલ ખાતે યુધ્ધના ધોરણે ૨૫ nm3 કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ, પ્લાઝમા થેરાપી સેન્ટર અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સની તાજેત્રમાં જોગવાઈ કરવામાં આવી. જેમાં ઉત્તર ગુજરાતના અનેક દાનવીરોનો સહયોગ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી અને નુતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના સેવારૂપી યજ્ઞમાં મળ્યો છે, જેના ભાગરૂપે તારીખ ૨૦ મે, ૨૦૨૧ ના રોજ નુતન જનરલ હોસ્પિટલ ખાતે (૨૫ nm3) કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ, પ્લાઝમા થેરાપી સેન્ટર અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સનો લોકાર્પણ સમારોહ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી માનનીય શ્રી નિતિનભાઈ પટેલ ના વરદ્દ હસ્તે (વર્ચ્યુઅલ) રાખવામાં આવેલ હતો. આ શુભ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મહેસાણા જીલ્લાના સાંસદશ્રી માનનીય શારદાબેન પટેલ, કલેક્ટર શ્રી એચ. કે. પટેલ અને પોલીસ અધિક્ષકશ્રી પાર્થરાજસિંહ ગોહિલ હાજર રહ્યા હતા.માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલે તેમના ઉદ્દ્રબોધનમાં જણાવ્યું હતુ કે કોરોનાની મહામારીમાં નુતન જનરલ હોસ્પિટલ મહેસાણા જિલ્લા માટે આશીર્વાદ રૂપ રહી છે અને અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓને ઉત્તમ સારવાર પૂરી પાડી છે. તેમણે શ્રી પ્રકાશભાઈના ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું.મહેસાણા જીલ્લા સાંસદ માનનીય શારદાબેન પટેલે સાંકળચંદ દાદાનું સ્મરણ કરીને નુતન જનરલ હોસ્પિટલ દ્વારા પુરી પાડવામાં આવતી સેવા બદલ યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ અને સમસ્ત હોસ્પિટલ તેમજ યુનિવર્સિટીના તમામ સ્ટાફને અભિનંદન આપીને પ્રોસ્તાહિત કર્યા હતા.આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખશ્રી અને નુતન ટ્રસ્ટના ચેરમેનશ્રી પ્રકાશભાઈ પટેલે જણાવ્યુ હતું કે કોરોનાની વૈશ્વિક મહામારી ને પહોંચી વળવા અને ઉત્તર ગુજરાત તેમાં ખાસ કરીને મહેસાણા જિલ્લાની જનતાને અધતન સુવિધા મારફતે યોગ્ય અને વધુમાં વધુ સારવાર મળી રહે તે હેતુથી ઉપરોક્ત સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા દ્રઢ સંકલ્પને પૂરો કરવા માટે ખૂબ જ ટૂંક સમયમાં દાતાશ્રીઓ તરફથી માતબર દાન મળેલ છે, તે માટે ગુજરાત સરકાર, સર્વે દાતાશ્રીઓ, શુભેચ્છ્કો તથા સરકારી અધિકારીશ્રીઓનો અંત:કરણ થી આભાર વ્યક્ત કર્યો હતો.વધુમાં તેમણે જણાવ્યુ હતું કે નૂતન જનરલ હોસ્પિટલને અધતન સુવિધા સાથે કાર્યરત કરવા નૂતન ટ્રસ્ટ કટિબદ્ધ છે અને ભવિષ્યમાં નૂતન જનરલ હોસ્પિટલમાં કાર્ડિયાર્ક લેબ, ઓન્કોલોજી સેન્ટર અને ન્યૂરોસર્જરી જેવા સુપર સ્પેશિયાલિટી વિભાગો શરૂ કરવામાં આવશે, જેથી નૂતન મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટરમાં અભ્યાસ કરતા વિધાર્થીઑને ક્લિનિકલ, અધતન ટેક્નોલોજીનો અને અનુભવી ડોકટર્સના માર્ગદર્શનનો લાભ મળી રહેશે તેમજ આસપાસની જનતાને ઘર આંગણે સુવિધાઓ પ્રાપ્ત થશે. તેવી આશા વ્યક્ત કરી હતી.પ્રોગ્રામના અંતે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. જે. આર. પટેલે આ પ્રસંગને સફળ બનાવવા માટે તમામ આમંત્રિત મહેમાનો, દાતાશ્રીઓ તથા હોસ્પિટલ અને યુનિવર્સિટીના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
જનક પટેલ. વિસનગર


