મહિલા અને બાળ કલ્યાણ પ્રવૃત્તિ સમિતિના સ્વ ભંડોળ અંતર્ગત અમદાવાદ જીલ્લાની ‘પંખ અને ‘વચન’ યોજનાનો શુભારંભ

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓને પૂરક અન્ય ૨૪ જેટલી સહયકીય યોજનાઓ પર કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત ICDS શાખા દ્વારા જિલ્લાની દિકરીઓ,કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ માટે ‘પંખ’ અને ‘વચન’ યોજનાઓનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ બંને યોજનાઓ કઈ રીતે કાર્યરત થશે એ વિશે આવો જાણીએ શું છે આ બંને યોજનાઓનો હેતુ:-
(૧) વચન યોજના
આ યોજનાનો ઉદેશ બાળકોના સર્વાંગી વિકાસમાં સહાયરૂપ થવા , બાળકોમાં કુપોષણનો દર ઘટાડવા , કુપોષણમાંથી બાળકોને બહાર લાવવા, બાળકને જીવન ઘડતરનો પાયો બાલ્ય અવસ્થામાં જ આરોગ્યને સુપોષિત બનાવવાનો છે.અમદાવાદ જિલ્લામાં કુપોષણનો દર NFSH-5 મુજબ ૩૪.૦ છે. જિલ્લામાં કુપોષણનુ ધોરણ સુધારવા માટે સઘન પ્રયાસોની જરૂરિયાતને જોતા ૦ થી ૬ વર્ષના બાળકોના સ્વાસ્થ્ય તથા પોષણ માટે જરૂરી પગલાં સાથેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.જેમાં આ બાળકોમાં કુપોષણના કારણને જાણીને તેનું નિરાકરણ લાવવાનો અભિગમ હાથ ધરવામાં આવેલ છે. કુપોષણના કારણે જાણવા અને બાળ નિષ્ણાતોની મદદ લઇ બાળકોનો સર્વાંગી ચેકઅપ હાથ ધરવામાં આવશે તથા તેઓની ન્યુટ્રીશનની સલાહ મુજબ આહાર આપવાની પહેલ અમદાવાદ જિલ્લામાં ‘વચન’ અંતર્ગત કરવામાં આવશે.
આ યોજનાનું અમલીકરણ અમદાવાદ જિલ્લામાં દરેક કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને ઘટકના આંગણવાડી વર્કર દ્વારા તાલુકા કક્ષાએ એક કેમ્પ યોજવામાં આવશે. જેમાં બાળકોના નિષ્ણાત તબીબો દ્વારા તે બાળકોની તપાસ કરવા અંગેની બાબતનો આઈસીડીએસ શાખા અને આરોગ્ય શાખા દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવશે. જેમ કે બાળકોને લઇ જવા -લાવવા તથા પોષણ સંબંધી પગલાં લેવામાં આવશે. જરૂરિયાતમંદ બાળકોને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ રિપોર્ટ જેવી વગેરે સેવાઓ પૂરી પાડવામાં આવશે. આરોગ્યની વર્તમાન સમસ્યાઓનું સમાધાન કરવામાં આવશે. આરોગ્ય શાખામાં સમાવેશ ન હોય તેવી મેડિસિન્સ અને લેબોરેટરી ખર્ચની જોગવાઈનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વાર્ષિક દર અંદાજીત સરેરાશ બે હજાર જેટલા બાળકોને આવરી લેવાનું આયોજન છે. વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં રૂપિયા ૨૫ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

(૨) પંખ યોજના
આ યોજનાનો મુખ્ય ઉદેશ માસિક સ્ત્રાવના શરૂઆતના તબક્કાથી જ સ્વસ્થ અને સ્વચ્છતાની આદત કેળવવાનો છે.માસિક ધર્મ એ સામાન્ય અને કુદરતી પ્રક્રિયા છે. માસિક ધર્મ એ સ્ત્રીના જીવનનો એ ભાગ છે. તેમાં શરમ સંકોચ કે મુંજવણ અનુભવ્યા વગર સેનેટરી નેપકિન નો ઉપયોગ કરી અંગત સ્વચ્છતા અંગે કિશોરીઓમા આરોગ્ય સંબંધિત સારી ટેવ કેળવવા જીલ્લાના નવ તાલુકાના ૧૨. ICDS ઘટકોમાં ૧૧ થી ૧૫ વર્ષની વયજુથની તમામ કિશોરીઓને આ યોજનામાં આવરી લેવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જીલ્લાની ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા મહિલાઓ અને કિશોરીઓ સેનેટરી નેપકીન ઉપયોગ અંગે જાગૃતતા કેળવે અને તેઓ ઓછા દરે અને સરળ રીતે સેનેટરી નેપકીન જનઔષધ કેન્દ્રમાંથી (તમામ તાલુકાઓમાં) મળી રહે તે અંગેની સમજ આપવામાં આવશે. અને સેનેટરી નેપકીન ના ઉપયોગ નો પ્રચાર પ્રસાર કરી આરોગ્યલક્ષી બાબતો માટે જાગૃતતા લાવી શકાય તેની કરીને તેનો જથ્થો આપવાથી સેનેટરી નેપકીન ઉપયોગ કરવાથી કિશોરીના આરોગ્ય અને સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવશે.
જીલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે નોંધાયેલ 11 થી 15 વર્ષની કિશોરીઓને માસિક સ્ત્રાવના શરૂઆત વિશે માર્ગદર્શન અને પરામર્શ કરવામાં આવશે અને સેનેટરી નેપકીન વિતરણ કરવામાં આવશે. સેનેટરી નેપકીન નાશ કરવા માટે મશીનો મુકવા તેમજ સુરક્ષિત નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે. શાળાએ જતી કિશોરી માટે શાળાના વર્ગ શિક્ષકને સેનેટરી નેપકીનનો જથ્થો આપવામાં આવશે અને વયજૂથમા આવતી કિશોરીઓને તેનું વિતરણ કરવામાં આવશે. શાળાએ ન જતી કિશોરીઓ માટે આંગણવાડી કેન્દ્રો ખાતેથી સેનેટરી નેપકિન ઉપલબ્ધ થશે.
ઘટક કક્ષાએથી બાળ વિકાસ યોજના અધિકારી શ્રી દ્વારા જનઔષધ કેન્દ્રમાંથી તેની ખરીદી કરવામાં આવશે. અમદાવાદ જીલ્લાની અંદાજીત ૧૬ હજાર કિશોરીઓને વાર્ષિક ૧૮૦ નંગ સેનેટરી પેડ આપવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. આ અંગે વર્ષ 2022-23 માં ૩૫ લાખની બજેટની જોગવાઇ કરવામાં આવેલ છે.

સમાચાર