
શહેરના મુગલીસરા મેઈન રોડ વરીયાળી બજાર કોળીવાડમાં આવેલ એક દુકાનમાં પીસીબીએ રેડ પાડી હતી. જેમાં બીલ વગરના નાઈકી, એડીદાસ અને ફિલા કંપનીના શૂઝનો કુલ રૂપિયા ૪.૧૦ લાખનો જથ્થો કબજે કરી દુકાનદારની ધરપકડ કરી હતી. પીસીબીના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા દિવાળી તહેવાર અનુસંધાને શહેરમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃતીઓને ડામવા અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી જે અંતર્ગત પીઆઈ ઓસ.જે.ભાટિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે વખતે કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જશવંતસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ મંગુભાઈને એવી બાતમી મળી હતી કે,ઝાહીદ મોહમંદ મીયાં વાહેદકલામ બીલ વગરના નાઈકી, અડીદાસ જેવા ઈન્ટરનેશનલ બ્રાંડના શુઝનું વેચાણ કરે છે અને હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને પોતાની લાલગેટ વરીયાળી બજાર કોળીવાડ ખાતે મીરઝા સ્વામી હોલની સામે આવેલ ઓફિસમાં સ્ટોક કરી રાખ્યો છે. બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે રેડ પાડી હતી. જેમાં ઝાહીદ મંહમંદમીયાં વાહેદકલામ (ઉ.વ.૨૯.રહે, દેનાવિહાર સોસાયટી અડાજણ પાટીયા)ઓફિસમાં કાર્ટુન બોક્ષ નંગ-૬માંથી નાઈકી, એડીદાસ અને ફિલા કંપનીના શુઝની જાડી નં-૪૧૦ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા ૪.૧૦ લાખ થાય છે. આ ઉપરાંત પુઠાના બોક્ષ, અને પ્લાસ્ટિકના થેલીઓ પણ મળી આવી હતી. પીસીબીએ ઝાહીદ કલામને મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા કોઈ બીલ ચલણો કે અન્ય કોઈ પુરાવા તેની પાસે નહી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ કુલ રૂપિયા ૪,૧૦.૩૦૦નો મુદ્દામાલ કબજે કરી ઝાહીદ કલામની ધરપકડ કરી હતી.
