સરકારે ખાનગી ટેલિવિઝન ચેનલોને ઓનલાઇન ગેમિંગ અને ફેન્ટસી સ્પોર્ટ્સ સાથે સંબંધિત જાહેરાતોમાં એએસસીઆઈની માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું

આ પ્રકારની તમામ જાહેરાતોમાં ચેતવણીનો સંદેશ હોવો જોઈએ

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઇન ગેમિંગ, ફેન્ટસી સ્પોર્ટ્સ વગેરે સાથે સંબંધિત જાહેરાતો માટે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્ઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઈ)એ માર્ગદર્શિકા જાહેર કર્યા પછી તમામ ખાનગી ટેલિવિઝન પ્રસારકોને એનું પાલન કરવા સૂચનો જાહેર કર્યા છે. મંત્રાલયે એમાં સલાહ આપી છે કે, જાહેરાતો કાયદા કે ધારાથી પ્રતિબંધિત કોઈ પણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું ન જોઈએ.

આ સૂચનોમાં જણાવવામાં આવ્યું હતું કે “માહિતી અને પ્રસારણ મંત્રાલયના ધ્યાનમાં આ વાત આવી છે કે, ઓનલાઇન ગેમિંગ, ફેન્ટસી સ્પોર્ટ્સ વગેરે પર મોટી સંખ્યામાં જાહેરાતો ટેલિવિઝન પર પ્રસારિત થાય છે. આ પ્રકારની જાહેરાતો ગેરમાર્ગે દોરતી હોય એવું જણાય છે, ગ્રાહકોને એની સાથે સંકળાયેલા નાણાકીય અને અન્ય જોખમો ઉચિત રીતે જણાવતા નથી. આ જાહેરાતોમાં કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (નિયમન) ધારા, 1995 અને ગ્રાહક સુરક્ષા ધારા, 2019ની એડવર્ટાઇઝિંગ આચારસંહિતાનું કડકપણે પાલન થતું નથી.”

આ એડવાઇઝરી ઉપભોક્તા મંત્રાલય, એએસસીઆઈ, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન, ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશન, ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન, ફેડરેશન ઓફ ઇન્ડિયન ફેન્ટસી સ્પોર્ટ્સ તથા ઓનલાઇન રમી ફેડરેશનના પ્રતિનિધિઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારો વચ્ચે ચર્ચાવિચારણા પછી બહાર પાડવામાં આવી છે.

એએસસીઆઈની આચારસંહિતાનું પાલન કરવા એ જરૂરી છે કે, આ પ્રકારની દરેક ગેમિંગ જાહેરાતમાં નીચેના અસ્વીકરણ હોવા જોઈએઃ ‘આ ગેમમાં નાણાકીય જોખમ સંકળાયેલું છે અને એની લત પડી શકે છે. કૃપા કરીને જવાબદારી સાથે અને તમારા પોતાના જોખમે રમો.’ આ પ્રકારનું અસ્વીકરણ જાહેરાતની ઓછામાં ઓછા 20 ટકા જગ્યા રોકવું જોઈએ. માર્ગદર્શિકામાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, ગેમિંગ જાહેરાતોમાં 18 વર્ષથી ઓછી વય ધરાવતી વ્યક્તિને વાસ્તવિક નાણાં જીતવા માટે ઓનલાઇન ગેમિંગની ગેમ રમવામાં સંકળાયેલી વ્યક્તિ તરીકે નહીં દર્શાવી નહીં શકાય અથવા આ જાહેરાતો એવું સૂચન નહીં શકે કે, આ પ્રકારનાં એટલે 18 વર્ષથી ઓછી વય ધરાવતા યુઝર આ ગેમ્સ રમી શકે છે. જાહેરાતોમાં એવું પણ સૂચવી નહીં શકાય કે, ઓનલાઇન ગેમિંગ આવક ઊભી કરવાનો વૈકલ્પિક સ્ત્રોત છે. વળી એમાં આ પ્રકારની ગેમ્સ રમતી કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિઓથી વધારે સફળ છે એવું પણ દર્શાવી નહીં શકાય.

એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્ઝ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના વર્ષ 1985માં મુંબઈમાં ભારતમાં જાહેરાત ઉદ્યોગના સ્વનિયમનકારક સ્વૈચ્છિક સંસ્થા તરીકે થઈ છે. સંસ્થા એ સુનિશ્ચિત કરવા ઇચ્છે છે કે, જાહેરાતોમાં સ્વનિયમન માટે એની આચારસંહિતાનું પાલન થાય. કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (નિયમન) ધારા, 1995 અંતર્ગત ટેલિવિઝન નેટવર્કો માટે એએસસીઆઈએ બનાવેલી જાહેરાતની આચારસંહિતાનું પાલન કરવું ફરજિયાત છે.

બ્રેકીંગ ન્યૂઝ