રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં 21 કરોડ કરતાં વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 1.60 કરોડ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

સમગ્ર દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયતના ભાગરૂપે ભારત સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના ડોઝ વિનામૂલ્યે આપીને આ અભિયાનમાં સહકાર આપી રહી છે. આ ઉપરાંત, ભારત સરકારે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેસોને સીધી રસીની ખરીદી કરવાની પણ સુવિધા પૂરી પાડી છે. ભારત સરકાર દ્વારા મહામારીના વ્યવસ્થાપન અને નિયંત્રણ માટે તૈયાર કરવામાં આવેલી વ્યાપક વ્યૂહનીતિમાં રસીકરણ અભિયાન એક મહત્વપૂર્ણ આધારસ્તંભની રચના કરે છે. આ વ્યૂહનીતિમાં અન્ય મુદ્દાઓમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણૂકનું પાલન સામેલ છે.

દેશમાં ઉદારીકૃત અને પ્રવેગિત કોવિડ-19 રસીકરણ તબક્કા-3ની વ્યૂહનીતિનો 1 મે 2021થી અમલ શરૂ કરવામાં આવ્યો છે.

આ નીતિ અંતર્ગત, દર મહિને કોઇપણ ઉત્પાદક માટે કેન્દ્રીય દવા લેબોરેટરી (CDL) દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ ડોઝમાંથી 50% ડોઝ ભારત સરકાર દ્વારા લેવામાં આવશે. ભારત સરકાર આ તમામ ડોઝ રાજ્ય સરકારોને અગાઉની જેમજ સંપૂર્ણ વિનામૂલ્યે આપવાનું ચાલુ રાખશે.

ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે શ્રેણી અને રાજ્યો દ્વારા સીધી પ્રાપ્તિની શ્રેણી એમ બંને અંતર્ગત આજદિન સુધીમાં રસીના 21 કરોડ કરતાં વધારે (21,33,74,720) ડોઝ પૂરા પાડ્યા છે.

આમાંથી, 21 મે સુધી સરેરાશના આધારે કરવામાં આવેલી ગણતરી અનુસાર બગાડ સહિત 19,73,61,311 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણની કામગીરી આગળ વધારવા માટે હજુ પણ કોવિડની રસીના 1.60 કરોડ કરતાં વધારે (1,60,13,409) ડોઝ ઉપલબ્ધ છે.આ ઉપરાંત, રસીના 2.67 લાખથી વધારે (2,67,110) ડોઝ કામગીરી હેઠળ છે અને આવનારા 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આ જથ્થો પ્રાપ્ત થઇ જશે.

બ્રેકીંગ ન્યૂઝ