
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી વક્ફ બર્ડના ચેરમેન અમાનતુલ્લાહ ખાનની પૂછપરછ વચ્ચે એન્ટી કરપ્શન બ્યૂરો રાજધાનીમાં દરોડા પાડી રહી છે. અમાનતુલ્લાહ ખાનના ઘર સહિત પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે. સૂત્રો પ્રમાણે દરોડા દરમિયાન એક જગ્યાએથી લાખો રૂપિયા કેશ અને બિન લાયસન્સી હથિયાર જપ્ત થયા છે. દિલ્હી વક્ફ બોર્ડ સાથે જાેડાયેલા બે વર્ષ જૂના કેસમાં અમાનતુલ્લાહને શુક્રવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેમને ૧૨ કલાકે હાજર થવાનું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ૫ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે અમાનતુલ્લાહ ખાનના બિઝનેસ પાર્ટનર હામિદ અલીના ઘરેથી વિદેશી વિસ્તોલ મળી છે, જેનું લાયસન્સ નથી. ૧૨ લાખ રૂપિયા રોકડા મળવાની વાત પણ સામે આવી છે. જામિયા, ઓખલા અને ગફૂર નગર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઓખલાના ધારાસભ્ય વિરુદ્ધ વર્ષ ૨૦૨૦માં દિલ્હી વક્ફ બોર્ડમાં અસ્થાયી રીતે લોકોની ભરતી કરવામાં અનિયમિતતા દાખવવામાં આવી હતી, જેને લઈને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ખાને ગુરૂવારે ટિ્વટર પર નોટિસની કોપી ટ્વીટ કરતા લખ્યુ હતું કે- વક્ફ બોર્ડની નવી ઓફિસ બનાવવામાં આવી છે, અમને એસીબીએ બોલાવ્યા છે.. ચલો ફરી બુલાવા આયા હૈ. અમાનતુલ્લાહ ખાના ટ્વીટની સાથે વક્ફ બોર્ડના કાર્યાલયની તસવીરો પણ શેર કરવામાં આવી હતી. આપ ધારાસભ્ય વિરુદ્ધ એસીબીની રેડ તેવા સમયે થઈ છે જ્યારે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા કથિત રીતે દારૂ કૌભાંડમાં સીબીઆઈ તપાસનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી તેમના ઘર અને બેન્ક લોકરનું સર્ચ કરી ચુકી છે. આપ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ત્રણ મહિના કરતા વધુ સમયથી જેલમાં બંધ છે. તેમના પર મની લોન્ડ્રિંક એક્ટ હેઠળ કેસ દાખલ છે. તો આપનું કહેવું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેને બદનામ કરવા અને અરવિંદ કેજરીવાલની વધતી લોકપ્રિયતાને કારણે ખોટા કેસ દાખલ કરી ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
