
અમદાવાદમાં ઠક્કરબાપાનગર ખાતે આવેલી એક દુકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ૨.૩૭ લાખની ગેરકાયદે કફ સિરપનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી કોને કોને સીરપ વેચાણ કરતો અને કેટલા સમયથી ગેરકાયદે વેપાર કરતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલી હરીજન સિન્ધી કો.ઓ.હા.સોસાયટી ખાતે કફ સિરપનો જથ્થો પડ્યો હોવાની માહિતી એસઓજીને મળી હતી. આ અંગે અમદાવાદ એસઓજીના ડીવાયએસપી બી સી સોલંકીએ જણાવ્યું હતું કે, રાત્રે માહિતી આધારે પોલીસની ટીમે રેડ કરી હતી અને ત્યાથી કફ સીરપનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નવા નરોડા ખાતે આવેલા ડિ માર્ટ નજીકના અક્ષરધામ રેસિડેન્સીમાં રહેતા મયુરસિંહ ઉર્ફે મોનુ અશોકસિંહ ક્ષત્રિય (ઉ.૨૬)ની ધરપકડ કરી હતી. પોલીસે હરીજન સિન્ધી કો.ઓ.હા. સોસાયટીની દુકાનમાંથી ૧ મોબાઇલ, અન્ય દસ્તાવેજાે અને કફ સિરપના બોક્ષ એટલે કે ૧૨૫૫ નંગ બોટલો પકડી પાડી હતી. પોલીસે ૨.૩૭ લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી ગેરકાયદે રીતે લોકોને કફ સીરપ આપતો હતો અને નશા માટે આપતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આરોપી કફ સિરપ ક્યાથી લાવતો અને કોને કોને વેચાણ કરતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના સાથીદારો કોણ છે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
